સોમનાથ ટ્રસ્ટ-પ્રભાસ પાટણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે જામનગર ખાતે વડીલોની સેવાના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞ અંતર્ગત જામનગર જિલ્લાના વિવિધ વૃદ્ધાશ્રમોમાં રહેતા વડીલોને સોમનાથ મહાદેવના ચરણોમાં ધરેલ પવિત્ર વસ્ત્રો અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સાસંદ પુનમબેન માડમ અને જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા એમ.પી. શાહ વૃદ્ધાશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને વૃદ્ધોને પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કર્યુ હતું.
સાંસદએ વૃદ્ધાશ્રમની મુલાકાત દરમિયાન વૃદ્ધજનો સાથે વાતચીત કરી તેમની સુખાકારી અંગે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે સોમનાથથી મોકલવામાં આવેલી પ્રસાદી તેમજ વસ્ત્રોનું 114 જેટલા વૃદ્ધજનોને વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વૃદ્ધજનો પ્રત્યે સન્માન, સંવેદના અને આત્મિયતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લાના અન્ય વૃદ્ધાશ્રમો આણંદાબાવા સેવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમ, વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ (વસઈ), અને તપોવન ફાઉન્ડેશન વડીલ વૃદ્ધાશ્રમ (વિજરખી) ખાતે પણ તમામ વડીલોને સોમનાથ મહાદેવના આશીર્વાદ સ્વરૂપ વસ્ત્રો અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા પ્રશાસનના આ દિવ્ય આયોજનને વડીલોએ ભાવપૂર્વક બિરદાવ્યું હતું અને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે મંગલ કામના કરી હતી.

કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, કોર્પોરેટરો સંજય મુંગરા અને જ્યોત્સનાબેન પાંભર, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શરદભાઈ શેઠ, ડો. રૂપેનભાઈ દોઢિયા, કિરીટભાઇ મેહતા, મિલનભાઈ દોઢિયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હસમુખ રામાણી વગેરે ઉપસ્થિત રહી વડીલોની સેવામાં સહભાગી બન્યા હતા.




