જામજોધપુર નજીક વરવાળા ગામ પાસેથી બાઈકમાં પસાર થતા બંધુને ઈકોકારચાલકે ઠોકરે ચડાવતા બંને ભાઈઓને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરના મહિકી ગામના પાટીયા પાસે રહેતાં મેરુભાઈ અશોકભાઈ સાંથલપરા તથા વિશાલ અશોકભાઈ સાંથલપરા નામના બે ભાઈઓ જીજે-03-એપી-3134 નંબરનું મોટરસાઈકલ લઇ સતાપર ગામે કામ અર્થે ગયા હતાં. કામ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતાં આ દરમિયાન વરવાળા ગામથી આગળ જામજોધપુર તરફ જવાના રસ્તે ગોલાઈ પાસે પહોંચતા જીજે-06-એચએસ-6550 નંબરની ઈકો કારચાલકે પોતાની મોટરકાર પૂરપાટ ઝડપેે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાઈકલને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાઈકમાં સવાર બંને ભાઈઓને ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મેરુભાઇનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે મૃતકના પિતા અશોકભાઈ દ્વારા જીજે-06-એચએસ-6550 નંબરના ઈકો કારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી હતી.


