ભાણવડ તાલુકામાં વન્યજીવ જાગૃતિ વધતાં લોકો સાપને મારવાને બદલે બચાવી રહ્યા છે. છેલ્લા 16 વર્ષથી વિનામૂલ્યે સેવા આપતા જાણીતા જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે ઓગસ્ટ-2026ના એક જ મહિનામાં રેકોર્ડબ્રેક 112 વન્યજીવોનું સફળ રેસ્ક્યૂ કર્યું છે.
આ કામગીરીમાં સૌથી મોટું આકર્ષણ અત્યંત દુર્લભ ગણાતી ’ઇન્ડિયન રોક પાઇથોન’ પ્રજાતિના 29 વિશાળકાય અજગરોનું રેસ્ક્યૂ રહ્યું છે. આ ઉપરાંત 44 કોબ્રા, 1 કાળોતરો, 4 ખળચિતળ તેમજ 19 ધામણ, 4 રૂપસુંદરી સહિતના અન્ય સરિસૃપોને પણ ઉગારાયા છે.
વળી રેસ્ક્યૂ દરમિયાન મળી આવેલા તમામ ઈજાગ્રસ્ત સાપ અને અજગરને તાત્કાલિક યોગ્ય સારવાર આપી પૂર્ણપણે સ્વસ્થ કર્યા બાદ જ મુક્ત કરવામાં આવ્યા છે. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક વન વિભાગના સંયુક્ત સહયોગથી તમામ 112 જીવોને સુરક્ષિત રીતે તેમના મૂળ પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા છે.
માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવતી અશોકભાઈ અને એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમની આ સેવા સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ બની છે.


