જામનગર શહેરના મીગ કોલોની પાસે રાખડી બાંધવા ઘરે ન આવવાની બાબતે બે ભાઇઓએ પિતા-પુત્ર ઉપર લાકડાનો ધોકો અને સળિયા વડે હુમલ કરી પતાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે ભરત અને તેના ભાઈ પર પિતા-પુત્ર સહિતના ચાર શખ્સોએ લોખંડના સળિયા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના મીગ કોલોની પાસે જંગલેશ્ર્વર મહાદેવના મંદિર નજીક ઝુંપડામાં રહેતાં સામાભાઇ વાઘેલા રાખડી બાંધવા ઘરે ન આવ્યા હોય તે બાબતે ભરત તખુ વાઘેલા અને ભાવુ તખુ વાઘેલા નામના બે ભાઇઓએ શનિવારે સવારના સમયે સામાભાઇ સાથે ગાળાગાળી કરી લાકડાનો ધોકો અને લોખંડના સળિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ ભરતે પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ એમ. એન. જાડેજા તથા સ્ટાફે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સામાપક્ષે ભરત તખુભાઇ વાઘેલા નામના યુવાન ઉપર બાજુમાંથી બીજે જતાં રહેવા માટે સામા ધમા વાઘેલા, વિપુલ સામા વાઘેલા, વિનુ સામા વાઘેલા અને નીતાબેન મનસુખ પરમાર નામના ચાર શખ્સોએ એકસંપ કરી ભરતને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી લોખંડના સળિયા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગે પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


