જામનગર તાલુકાના ચેલા ગામમાં આવેલા મારવાડીવાસમાં કબૂતરો ઉડાડવાની બાબતનો ખાર રાખી પરિવારજનોએ યુવાનને ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
હુમલાના બનાવની મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ચેલા ગામમાં પીટીસી કોલેજ પાસે, મારવાડીવાસમાં રહેતાં અને ભંગારની ફેરી કરતાં કાનાભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.25) નામના યુવાનના ઝૂંપડા ઉપર નવઘણ રતી સોલંકીના પરિવારના કબૂતરો આવી જતાં હોય તેથી કાનાભાઇ આ કબૂતરોને ઉડાડી દેતાં હોવાથી જે બાબતનો ખાર રાખી નવઘણ રતી સોલંકી, જગમાલ રતી સોલંકી, લખીબેન રતીભાઇ સોલંકી નામના ત્રણ શખ્સોએ ઝૂંપડા પર પથ્થર અને છૂટ્ટાં ચંપલના ઘા કરતાં હોવાથી કાનાભાઇનો ભાઇ મુકેશ આ બાબતે સમજાવવા જતાં ત્રણેય શખ્સોએ એકસંપ કરી મુકેશભાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા મુકેશભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફે ઇજાગ્રસ્તના ભાઇ કાનાભાઇના નિવેદનના આધારે માતા અને બે પુત્ર સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


