જામનગરના યાર્ડમાં નવી મગફળીની સિઝનની આજથી શરૂઆત થઈ છે. સિઝનની પ્રથમ આવક તરીકે યાર્ડમાં પાંચ ગુણી નવી મગફળીની આવક નોંધાઈ હતી. ખાસ વાત એ છે કે પ્રથમ દિવસે માત્ર એક જ ખેડૂત નવી મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા હતા.
ચંદ્રગઢ ગામના ખેડૂત ગીરધરભાઈ સભાયા પાંચ ગુણી નવી મગફળી સાથે જામનગર યાર્ડમાં પહોંચ્યા હતા. સિઝનની પ્રથમ મુરત હોવાથી તેમની મગફળીની આવકને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ નવી મગફળીની ખરીદી શરૂ થતાં યાર્ડમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
View this post on Instagram
પ્રથમ મુરતના દિવસે નવી મગફળીનો એક મણનો ભાવ રૂ. ૧,૮૨૫ નોંધાયો હતો. શરૂઆતના તબક્કામાં મળેલા આ ભાવને સારો ભાવ ગણાવી ખેડૂત ગીરધરભાઈ સભાયાએ ખુશી વ્યક્ત કરી હતી. સામાન્ય ભાવની સરખામણીએ શરૂઆતમાં જ સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ આશાવાદ જોવા મળી રહ્યો છે.
હાલ નવી મગફળીની આવકની શરૂઆત થઈ હોવાથી યાર્ડમાં આવકનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પ્રથમ દિવસે માત્ર પાંચ ગુણીની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં ખેતરોમાંથી નવી મગફળીની આવક વધતા યાર્ડમાં આવકમાં પણ વધારો થવાની શક્યતા છે. જો કે તેને 2 સપ્તાહ કે તેથી વધુનો સમય લાગી શકે છે.
સિઝનની શરૂઆતમાં ખેડૂતોને સારો ભાવ મળતા આગામી દિવસોમાં મગફળીના ભાવને લઈને ખેડૂતોની આશા વધી છે.


