ખંભાળિયામાંથી એસઓજીએ એક મહિલાને નવ કિલો શંકાસ્પદ ઘીના જથ્થા સાથે ઝડપી લઇ રૂા. 2700ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન હે.કો. હરદીપસિંહ જાડેજા તેમજ મહાવીરસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે ખંભાળિયામાં પાવર હાઉસની પાછળના ભાગે આવેલા બાલમંદિરની બાજુમાં રહેતા મયાબેન બુધાભાઈ પુંજાભાઈ વકાતર (ઉ.વ. 76) નામની મહિલાને સલાયામાં આવેલી પાંજરાપોળના ગેઈટ પાસેથી દેશી ઘીના નામે અશુધ્ધ ઘીનું વેચાણ કરતા ઝડપી લીધા હતા.
પોલીસ તપાસમાં ઘીની બનાવટમાં કેમિકલ તેમજ અન્ય સામગ્રીનો ઉપયોગ કરી માનવ જીવન માટે જોખમી જોવા મળતાં પોલીસે રૂ. 2,700ની કિંમતનો આશરે 9 કિલોગ્રામ જેટલો ઘીનો જથ્થો કબજે કર્યો હતો. આ અંગે જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરને માહિતગાર કરી ઘીના સેમ્પલો મેળવવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, ફૂડ વિભાગના રોહિતભાઈ કોટડિયા, પી.એસ.આઈ. ડી. એ. વાળા તેમજ સ્ટાફના હરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.


