જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં સોમવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ગુલમર્ગ ગોંડોલા કેબલ કાર (રોપ-વે) સેવાના બંને તબક્કામાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સમગ્ર ઓપરેશન તાત્કાલિક રોકી દેવું પડ્યું હતું. આ ખામીને કારણે હવામાં જઈ રહેલા આશરે 65 કેબિન અધવચ્ચે જ અટકી પડ્યા હતા, જેમાં 300 જેટલા પ્રવાસીઓ ફસાયા હતા.
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સ, સ્થાનિક પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમોએ સંયુક્ત મોરચો સંભાળ્યો હતો. તીવ્ર વેગથી ચાલેલા આ ઓપરેશન બાદ તમામ 300 પ્રવાસીઓને કોઈપણ ઈજા વગર સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. પ્રવાસીઓને નીચે આવ્યા બાદ સેનાએ તમના મનોબળ વધાર્યા હતા તેમજ લોકોએ પણ ભારતીય સેનાનો આભાર માન્યો હતો અને અમુક લોકો ભાવુક પણ થઇ ગયા હતા.
View this post on Instagram
આ ગંભીર ઘટના અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. બીજી તરફ, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ DGP નલિન પ્રભાતને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યોની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો હતો.


