દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ સલમાબેન ઈલીયાસભાઈ થૈયમના ઘરેથી મળી આવેલા ગૌવંશના માંસના જથ્થા બાબતે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાની તપાસ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સીધી દેખરેખ હેઠળ ચાલી રહેલી આ તપાસ દરમિયાન રૂપેણ બંદરના મસ્જિદ વિસ્તારમાં રહેતા વધુ બે વ્યક્તિઓની આ ગુનામાં સંડોવણી હોવાનો ખુલાસો થતા સોમવાર તા. 23 ના રોજ આ બંને શખ્સોની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દ્વારકાના રૂપેણ બંદર, નવી નિશાળની બાજુમાં રહેતા મુસા અલ્લારખાભાઈ અને મહમંદહનીફ ઉર્ફે મુન્નાબાપુ અહેમદમીંયા સૈયદનો સમાવેશ થાય છે.
આ બન્ને આરોપીઓને સાથે રાખી એલસીબી તથા દ્વારકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટીમના સભ્યો દ્વારા આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે માંસના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હોવા અંગે સંદિગ્ધ જગ્યાઓની મુલાકાત લઇ, ઘટના સ્થળે વિગતવાર પંચનામું કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી દ્વારા વિસ્તૃત અને ઝીણવટભરી તપાસની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
આ ગુનાની તપાસ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયાની તથા પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા આગળ ધપાવી, અને સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અંગે પણ તપાસ આદરી છે.


