ધ્રોલ ગામના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી અને બેન્કમાં નોકરી કરતી યુવતીને બેન્ક દ્વારા અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવતા હોય, જે ટાર્ગેટ પ્રમાણે પૂરા થતાં ન હોવાથી ચિંતામાં એસિડ પી આપઘાત કર્યો હતો.
મળતી વિગત મુજબ ધ્રોલ ગામમાં ગાયત્રીનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર સામે રહેતાં રાજેશ્વરીબા સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.28) નામની યુવતી ધ્રોલ એક્સિસ બેન્કમાં નોકરી કરતી હતી. બેન્ક દ્વારા તેને અલગ અલગ આપવામાં આવતા ટાર્ગેટ મુજબ કામ પૂરા થતાં ન હોવાથી ચિંતામાં રહેતી હતી. આ બાબતનું મનમાં લાગી આવતાં બપોરના સમયે તેણીના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મંગળવારે સાંજે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ મયૂરરાજસિંહ દ્વારા જાણ કરાતાં હે.કો. આર. એ. કુબાવત સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા. મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


