જામનગરના પ્રાચીન ગરબા વિશ્વભરમા પ્રખ્યાત છે. શહેરમા હાથી કોલોની, શેરી નં.-2, સુમેર કલબ થતા અનેક સ્થળોએ પ્રાચીન ગરબાઓ વિશ્વ પ્રખ્યાત બન્યા છે. શહેરના હાથી કોલોનીમાં આવેલ આશાપુરા ગરબી મંડળ દ્વારા શહેરમાં છેલ્લા 44 વર્ષથી સતત પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
નવરાત્રી પર્વની આ ગરબીમાં દર વર્ષે ખાસ આકર્ષણ રહે છે, જેમાં ‘એ’, ‘બી’ અને ‘સી’ એમ ત્રણ ગૃપની બાળાઓ વિવિધ પ્રકારના અનોખા રાસ રજુ કરે છે. આ વર્ષે પણ કુલ 28 રાસ ત્રણેય ગ્રુપ દ્વારા રજૂ થવાના છે. લગભગ 100થી વધુ બાળાઓએ છેલ્લા 45 દિવસથી સતત મહેનતપૂર્વક તૈયારીઓ કરી છે. દરરોજ સાંજે રાત્રે 9 થી 12 વાગ્યા સુધી ચાલતી આ ગરબીમાં એક એક રાસ આશરે 5 થી 10 મીનીટ સુધીના સમયમર્યાદા ટના હોય છે.
આ ગરબીમાં દર વર્ષે પરંપરા અને નવીનતાનું સુંદર સંયોજન જોવા મળે છે. આ વર્ષે ખાસ આકર્ષણરૂપે તલવાર રાસ, મહાકાળી તાંડવ, કૃષ્ણ જન્મોત્સવ, ઘમર-ઘમર મારૂ વલોણું, પેરોડીના ડાકલા, મોર બની થનગાટ, માંડવી રાસ, મણીયારો રાસ, કચ્છી રાસ, રંગ ભીની રાધા, ચલતી રાસ – સાચી રે.. સહિતના અનેક રાસો રજૂ થશે. ખાસ ઉમેરો તરીકે ‘ધુનુચી નૃત્ય જે ખાસ બંગાળી રાસ’ તરીકે ઓળખાય છે, આ વર્ષે ખાસ જામનગરમાં પ્રથમ વખત આ બંગાળી નૃત્યનું આયોજન રાખવામાં આવ્યું છે, જે દુર્ગા પૂજા પ્રસંગે પરંપરાગત રીતે ખાસ ઢોલ-ડ્રમ પર રમાય છે.
આશાપુરા ગરબી મંડળનું સંચાલન પિયુષ હરિયા, કે.કે. વિસરીયા એડવોકેટ, નિલેશ હરિયા, અનિલભાઈ ગોહીલ, વનરાજસિંહ જાડેજા, એસ.એસ. શેખ, જયેશ ગુઢકા, મિતેન બિદ, હરેશ શુકલ, રૂપેન તન્ના, ગીરીશ કાલેણા, નીલેશ બાવરીયા, સંજય બકરાણીયા, દિપક કુબાવત, મિલન હરિયા, પારસ હરિયા, વિશાલ ગાંધી, જયેશ આશર, હર્ષ હરિયા સહિતના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોરિયોગ્રાફીનું આયોજન ખુશી હરિયા તથા ભૂમિ ચાંદ્રા દ્વારા કરવામાં આવ્યું છે.
આ પ્રાચીન ગરબીમાં દર વર્ષે શહેરના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓ ઉમટી પડે છે. માત્ર જામનગર જ નહીં પરંતુ દેશ અને વિદેશમાંથી પણ લોકો ખાસ આ પ્રાચીન ગરબા નિહાળવા માટે જામનગર આવે છે. પરંપરા, ભક્તિ અને કલાત્મક પ્રસ્તુતિઓનો અનોખો સંગમ બનતી આ ગરબી જામનગરની નવરાત્રિમાં વિશેષ સ્થાન ધરાવે છે.


