કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના શ્રમિક યુવાન ઉપર આકાશી વીજળી પડતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં રહેતાં અને મજુરી કામ કરતા સંદિપભાઈ બધાભાઈ રાતડિયા (ઉ.વ.24) નામનો યુવાન ગત તા.19 ના શનિવારે સાંજના સમયે ઢોર બાંધવાના ભેંસોના વાડામાં નિરણ નાખવા ગયો હતો ત્યાંથી ઘરે પરત ફરતા સમયે વાડા નજીક પહોંચ્યો ત્યારે આકાશી વીજળી પડતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા બધાભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.