Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ડ્રેસીંગ રૂમ પાસે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ડ્રેસીંગ રૂમ પાસે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

સીસીટીવી કેમેરા અને સિકયોરિટીથી સજ્જ હોસ્પિટલમાં હત્યા!!? : જૂના મનદુ:ખમાં હત્યાનું પોલીસનું પ્રાથમિક તારણ : શહેર ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો : અન્ય એક યુવાન ઘાયલ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં એક પછી એક હત્યાના બનાવો બનતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ સરાજાહેર હત્યાના બનાવો બની રહ્યા છે. ગઈકાલે જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવાન ઉપર આડેધડ છરીના ઘા ઝીંકતા યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવના પગલે શહેર ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો.

- Advertisement -

હત્યાના વધુ એક બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવેલા ધર્મરાજસિંહ સુરૂભા ઝાલા નામના યુવાન ઉપર હોસ્પિટલના ડ્રેસીંગ રૂમ નજીક અજાણ્યા શખ્સોએ ધર્મરાજસિંહ ઉપર છરીના આડેધડ ઘા ઝીંકતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો. અને હુમલો કર્યા બાદ શખ્સો નાશી ગયા હતાં. ત્યારબાદ યુવાનને સારવાર માટે ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું તેમજ આ હુમલામાં અન્ય એક યુવાન પણ ઘવાયો હતો. જેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જી. જી. હોસ્પિટલમાં થયેલી હત્યાના બનાવની જાણ થતા બાજુમાં જ આવેલા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો બનાવસ્થળે દોડી આવ્યો હતો. અને હત્યાની ગંભીરતા લઇને શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા હોસ્પિટલે દોડી આવ્યા હતાં.

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ આરંભી હતી. જો કે, આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, સિકયોરીટી અને સીસીટીવી કેમેરાથી સજ્જ અને બે-બે પોલીસ સ્ટેશન નજીક આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ડે્રસિંગ રૂમની પાસે જાહેરમાં યુવાનની હત્યા નિપજાવવામાં આવતી હોય ત્યારે આ સિકયોરીટી અને સીસીટીવી કેમેરા તથા સુરક્ષા વ્યવસ્થા કોના માટે કરવામાં આવે છે ? સિકયોરીટી હોવા છતાં હોસ્પિટલમાં અંદર છરી વડે જીવલેણ હુમલો કરી યુવાનની હત્યા નિપજાવ્યાના બનાવે જી. જી. હોસ્પિટલના વહીવટી તંત્ર ઉપર અનેક સવાલો ઉભા કરી દીધા છે. પોલીસે હત્યાની તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં જુના મનદુ:ખને કારણે યુવાનની હત્યા નિપજાવાઇ હોવાની દિશામાં તપાસ આરંભી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં છ માસ દરમિયાન હત્યા, લૂંટ, ચોરી, હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ એક પછી એક હત્યાના બનાવો હાલારવાસીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. માર્ચ માસમાં એડવોકેટની સરાજાહેર આંતરીને હત્યા નિપજાવી હતી. ત્યારબાદ શહેરના રાજપાર્ક વિસ્તારમાં પાડોશી ટ્રકડ્રાઈવરે 12 વર્ષની માસુમ બાળકીની નિર્મમ હત્યા નિપજાવી હતી. તેમજ નવાગામ ઘેડ વિસ્તારમાં કરિયાણાના પૈસાની ઉઘરાણી કરતાં વેપારી યુવાનની હત્યા તથા વિરસાવરકર આવાસમાં અનૈતિક સંબંધોમાં પત્નીના પ્રેમીએ પતિની હત્યા નિપજાવી હતી. ઉપરાંત શેઠવડાળા ગામમાં બાળકોના ઝઘડામાં મોટેરાઓ દ્વારા કરાયેલા હુમલામાં યુવાનની હત્યા પોલીસ દફતરે નોંધાયેલી છે અને ગત રાત્રિના જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવાનની હત્યા નિપજાવ્યાના બનાવથી હાલારવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ એમ પછી એક હત્યાના બનાવોએ હાલારને હચમચાવી દીધું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular