જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં રહેતાં વેપારી યુવાને વર્ષ 2019 થી 23 સુધીમાં વ્યાજે લીધેલી 8.80 લાખની રકમના વ્યાજ સહિત કુલ રૂા.20,27,000 ચૂકવી દીધા છતાં બે વ્યાજખોરો દ્વારા મુદલ સહિત વ્યાજની ઉઘરાણી માટે વેપારીને ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતનગર નવા હુડકો બ્લોક નંબર જે/2 મકાન નંબર 1450 મા રહેતા પૃથ્વીરાજસિંહ રામદેવસિંહ ચુડાસમા નામના વેપારી યુવાને તેના વ્યવસાય માટે ભયલુભા વાળા અને ધર્મેન્દ્રસિંહ વાળા પાસેથી રૂા.8,80,000 જેટલી રકમ વ્યાજે લીધી હતી અને વર્ષ 2019 થી 2023 સુધીના સમય દરમિયાન આ રકમ પેટે આજ દિવસ સુધીમાં કુલ રૂા.20,27,000 જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં બંને વ્યાજખોરો એ વેપારીને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી મુદ્લ અને વ્યાજની ઉઘરાણી કરી હતી. વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરો દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને વેપારી યુવાને આખરે પોલીસમાં બંને વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી.બી.બરસબીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.