જામનગરના ઠેબા ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા દંપતિના ઘર પાસે આવી બે શખ્સોએ જૂના મનદુ:ખનો ખાર રાખી, જેમ ફાવે તેમ ગાળો કાઢી, લાકડાંના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી, પતાવી દેવાની ધમકી આપી, મહિલાનો ફોન તોડી નાખ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ઠેબા ચોકડી પાસે આવેલા સરદાર પાર્ક 4માં રહેતા અને મજૂરીકામ કરતો અનિલભાઇ વાલજીભાઇ વાઘેલા નામનો યુવાન અને તેના પત્ની મનિષાબેન ગુરૂવારે સાંજે તેમના ઘરે હતા ત્યારે તેના વિસ્તારમાં રહેતા રવિ બાબરિયા અને છગન ભલા પરમાર નામના બે શખ્સોએ ઘર પાસે આવી અનિલને કહ્યું કે, “તારી પત્ની મનિષા મારી પત્ની શિતલનો અમારા પાડોશી ક્રિષ્નાભાઇ સાથે પ્રેમસંબંધની વાતો કેમ કરે છે?” અને અગાઉના મનદુ:ખનો ખાર રાખી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને લાકડાંના ધોકા અને લોખંડના પાઇપ વડે અનિલભાઇ અને મનિષાબેન નામના દંપતિને ઈજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી મનિષાબેનનો એન્ડ્રોઇડ ફોન તોડી નાખ્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.