જામનગર શહેરના કૈલાસનગરમાં રહેતાં વેપારી યુવાને રૂા. 65 લાખના ભંગારના સામાનની ખરીદી કર્યા બાદ રૂા. 40 લાખ ચૂકવી દીધા હોવા છતાં આઠ શખ્સોએ રૂપિયાની માંગણી કરી વેપારીને માર મારી તું રૂપિયા નહીં આપે તો છોકરાને ઉપાડી જવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના કૈલાસનગરની શેરી નં.-પમાં, હરિયા કોલેજની બાજુમાં રહેતાં નરેશભાઇ હીરજીભાઇ મેંદપરા (ઉ.વ.43) નામના વેપારી યુવાને વિશાલ લગારિયા, નિલેશ ડાંગર અને સુભાષ રાવલિયા પાસેથી રૂા. 65 લાખના ભંગારનો માલ ખરીદ કર્યો હતો. તેમજ ચેતન રાવલિયા અને સાગર કંડોરિયા પાસેથી રૂા. 30 લાખનો માલ ખરીદ કર્યો હતો. આ માલ પેટે નરેશભાઇએ રૂા. 10 લાખ વિશાલ તથા જયદીપને આપ્યા હતા. તેમ છતાં વિશાલ, નિલેશ ડાંગર, ચેતન રાવલિયા, સુભાષ રાવલિયા, જયદીપ લગારિયા, દિવુભા અને સાગર કંડોરિયા સહિતનાઓએ એકસંપ કરી વેપારી પાસે અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરી હતી અને ઢીકાપાટુનો માર મારી વેપારી પાસેથી 22 કોરા ચેકો તેની પત્નીની સહીવાળા, ભયમાં મૂકી લઇ ગયા હતા. ઉપરાંત વેપારી યુવાનને આઠ શખ્સોએ જો રૂપિયા નહીં આપે તો તારા છોકરાને ઉપાડી જવાની ધાકધમકીઓ આપી હતી અને સુભાષે વેપારી યુવાનના સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા.
આ બનાવ અંગે વેપારી યુવાન નરેશભાઇ દ્વારા સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશાલ લગારિયા, નિલેશ ડાંગર, સુભાષ રાવલિયા, સાગર કંડોરિયા, ચેતન રાવલિયા, જયદીપ લગારિયા, દીવુભા તથા સાગર સહિતના આઠ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફે આઠ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


