જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર આવેલા પ્રણામીનગરમાંથી નદીના કાંઠેથી બોથડ પદાર્થના ઘા ઝિંકી હત્યા નિપજાવેલો નેપાળી યુવાનનો મૃતદેહ મળી આવ્યાના બનાવમાં હત્યારાની પત્નીની ટિપ્પણી કરવામાં આવતા તેણે યુવાનનું ઢીમ ઢાળી દીધા હોવાની કેફીયત આપી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલા પ્રણામીનગર વિસ્તારના નદીના કાંઠેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર અને લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં. જ્યાં બનાવ અંગેની જાણ કરાતા પીઆઈ વી.એમ. ડોડિયા તથા સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી યુવાનનો મૃતદેહનો કબ્જે સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે મૃતદેહની બાજુમાં જ લોહીના ડાઘાવાળો મોટો પથ્થર અને જીજે-11-બીએફ-6143 નંબરનું એકટીવા મળી આવતા કબ્જે કરી મૃતકની ઓળખ મેળવતા મૃતદેહ નેપાળના અછામ જિલ્લાના સાન્તડા પસેલા ગામના વતની અને જામનગર શહેરના ગ્રીનસીટી શેરી નંબર-9 માં આવેલા ગોલ્ડન એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા તપેન્દ્ર જંકર સાઉદ (ઉ.વ.28) નામના યુવાનનો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મૃતકના પિતા જંકર સાઉદ કેહરીના નિવેદનના આધારે નેપાળનો વતની અને હાલ કિર્તીપાનવાળી શેરીમાં રહેતાં રાકેશ ઉર્ફે રામુ છેત્રી સાઉદ નામના શખ્સે કોઇ કારણસર તપેન્દ્રના માથાના ભાગે પથ્થરનો ઘા મારી બંને પગમાં ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાની ફરિયાદના આધારે પોલીસે રાકેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
View this post on Instagram
પોલીસે ગણતરીના કલાકોમાં જ તપેન્દ્ર સાઉદ નામના નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર રાકેશ ઉર્ફે રામુ છેત્રી સાઉદ નામના શખ્સની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતાં તેણે આપેલી કેફીયતમાં મૃતક તપેન્દ્રએ અગાઉ રાકેશની પત્ની સંદર્ભે ટિપ્પણી કરી હતી. જે બાબતે અગાઉ પણ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. પત્નીની ટિપ્પણી સહન ન થતા રાકેશે બે દિવસ પહેલાં તપેન્દ્ર ઉપર મોટા પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું જણાવ્યું હતું.


