મે મહિનાની શરૂઆતથી દેશમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2કરોડને પાર કરી ચુકી છે. પરંતુ રાહતના સમાચારએ છે કે કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,57,229 કેસ નોંધાયા છે. જયારે 3,20,289 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અને 3449 દર્દીના મૃત્યુ નીપજ્યા છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ દેશમાં કોરોનાના કુલ 2 કરોડ 2 લાખ 82 હજાર 833 કેસ નોંધાયા છે. જેમાંથી 1 કરોડ 66 લાખ 13 હજાર 292 દર્દીઓ સાજા થયા છે જ્યારે 2 લાખ 22 હજાર 408 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 34 લાખ 47 હજાર 133 છે. જો રસીકરણની વાત કરો તો દેશમાં કોવિડ -19ની રસીના 15 કરોડ 89 લાખ 32 હજાર 921 ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્તસચિવ લવ અગ્રવાલે કહ્યું કે દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં સ્થિરતાના સંકેત મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં 24 એપ્રિલના રોજ સંક્રમણના 65,442 અને 20 એપ્રિલના રોજ 62,417 નવા કેસ સામે આવ્યા. દિલ્હીમાં 24 એપ્રિલના રોજ 25,294 કેસ અને 7 દિવસ બાદ 2 મેના રોજ 24,253 નવા કેસ સામે આવ્યા. છત્તીસગઢમાં 29 એપ્રિલના રોજ 15,583 કેસ અને 2 મેના રોજ 14,087 નવા કેસ સામે આવ્યા. તો ગુજરાતમાં પણ છેલ્લા 3 દિવસથી કેસમાં ઘટાડો આવ્યો છે.