ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર મળવા જઈ રહ્યો છે. અમદાવાદ (સરખેજ) થી ધોલેરા વચ્ચે લગભગ 134 કિલોમીટર લાંબી ડબલ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ લાઇનનું નિર્માણ કરવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR), આવનારા ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક તેમજ લોથલ સ્થિત નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટની ડિઝાઇન ગતિ 220 કિલોમીટર પ્રતિ કલાક અને સંચાલન ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી, ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર સ્ટેશનોને મેટ્રો નેટવર્ક સાથે જોડવામાં આવશે. સાથે જ સાબરમતી સ્ટેશન પર બુલેટ ટ્રેન કનેક્ટિવિટી અને મોરૈયા સ્ટેશન પર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) સાથે જોડાણ સુનિશ્ચિત કરવામાં આવશે, જેના કારણે ગુજરાત એક વિશ્વસ્તરીય મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસિત થશે.
આ જ ક્રમમાં વેજલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અમિત ઠાકરે વસ્ત્રાપુર સ્ટેશનની મુલાકાત લીધી. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા.
ડી ડીના એક અહેવાલમાં જણાવ્યા મુજબ પોતાના સંબોધનમા ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે જ્યારે કોઈ રાજ્યમાં મોટા વિકાસ કાર્યો થાય છે, ત્યારે તે સાથે જોડાયેલા વિસ્તારોમાં ભવિષ્ય માટે નવી સંભાવનાઓના દ્વાર ખુલ્લા થાય છે. તેમણે જણાવ્યું કે ધોલેરામાં વિકસિત થઈ રહેલા વિશાળ ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રને અમદાવાદના સરખેજ વિસ્તાર સાથે જોડતી આ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાતના વિકાસને નવી દિશા આપશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ વિસ્તારના સાંસદ અમિત શાહ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે રૂ. 20,667 કરોડની આ પ્રોજેક્ટથી વેજલપુર વિસ્તાર અને અમદાવાદ શહેરમાં વ્યાપક વિકાસ તથા રોકાણની સંભાવનાઓ ઊભી થશે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે આ પ્રોજેક્ટ દ્વારા લોકો માત્ર 45 મિનિટમાં ધોલેરા પહોંચી શકશે, જેના કારણે રોજગાર, આવાસીય અને વાણિજ્યિક પ્રવૃત્તિઓને અભૂતપૂર્વ ગતિ મળશે. સાથે જ ભાવનગર વિસ્તારમાં વિકસિત થઈ રહેલી બંદરગાહ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી અમદાવાદ અને સરખેજ વિસ્તારના યુવાનો માટે રોજગારના નવા અવસરો પણ સર્જાશે. આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અનુસાર વિકસાવવામાં આવી રહ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવાનો અને ભારતની લોજિસ્ટિક કાર્યક્ષમતાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો છે.


