જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અકળ કારણોસર ગળેફાંસો ખાઇ જીંદગી ટૂકાવી હતી. તેમજ ગામમાં રહેતાં વૃધ્ધ અગમ્ય કારણોસર ઝાડમાં ફારિયા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના રામપર ગામના સીમ વિસ્તારમાં જીતુભાઇ વાડીએ ખેતમજૂરી કામ કરતી આશાબેન અમરૂભાઇ ભાભર(ઉ.વ.22) નામની યુવતીએ શનિવારે સવારના સમયે તેના ઘરે કોઇ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બનાવ અંગેની રાકેશભાઇ દ્વારા જાણ કરતાં એએસઆઇ ડી.સી.ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથધરી હતી.
તેમજ રામપરમાં જ બનેલાં બીજા બનાવની વિગત મુજબ ખેતીકામ કરતાં દાનાભાઇ અરજણભાઇ છૈયા(ઉ.વ.66) નામના વૃધ્ધે ગત તારીખ 9 ના રોજ બપોરના સમયે વાડીમાં આવેલાં લિમડાના ઝાડની ડાળીમાં ફારિયા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં વૃધ્ધને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે શનિવારે સવારના સમયે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે રમેશભાઇ જાડિયા દ્વારા જાણ કરતાં એએસઆઇ ડી.સી.ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથધરી હતી.
જામનગર તાલુકાના રામપરમાં યુવતી અને વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આત્મહત્યા
આદીવાસી યુવતીએ અકળ કારણોસર જીંદગી ટૂકાવી : વૃધ્ધે ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કર્યું : પોલીસ દ્વારા જુદા-જુદા બન્ને બનાવોમાં આત્મહત્યાનું કારણ જાણવા તપાસ