તા.10-11મે ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય વડાપ્રધાનના રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારના વાહનો માટે તા.8 થી તા.10 મે સુધી રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.8મે રાત્રીના 11:00 કલાકથી તા.10મે રાત્રીના રાત્રીના 10:00 કલાક સુધી ટાઉનહોલથી લાલ બંગલા સર્કલ સુધીનો માર્ગ, તુલસી હોટલથી લાલ બંગલા સર્કલ સુધીનો માર્ગ, સાત રસ્તા સર્કલથી લાલ બંગલા સર્કલ સુધીનો માર્ગ બંધ રહેશે.
વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ તરીકે ટાઉનહોલથી ત્રણબત્તી થઈ અંબર છત્રી તરફનો ડાયવર્ઝન માર્ગ, ગુરુદ્વારા તરફથી આવતા વાહનો તુલસી હોટલથી લીમડા લાઇનથી ત્રણબત્તી તરફનો ડાયવર્ઝન માર્ગ, સાત રસ્તા સર્કલથી ગુરુદ્વારા સર્કલ થઈ સુભાસબ્રિજ તરફનો ડાયવર્ઝન માર્ગ ઉપયોગમાં લઈ શકશે.
આ જાહેરનામું આરોગ્ય સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ તથા અન્ય તાત્કાલિક સારવાર સબંધિત વાહનો, ફાયરબ્રિગેડ તથા બચાવ કામગીરીમાં રોકાયેલ વાહનો, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ તેમજ અન્ય કર્મચારી/ અધિકારીઓના વાહનો, વિજ પુરવઠો, પાણી પુરવઠો તેમજ ગેસ લીકેજ જેવી સેવાઓમાં જોડાયેલા જરૂરી સેવાઓના વાહનોને જરૂરી ખરાઈ કરી મુક્તિ આપવાની રહેશે. પ્રતિબંધિત માર્ગ પર સ્થિત સરકારી વસાહતમાં વસતા અધિકારી કર્મચારીઓની ખરાઈ કરી મુક્તિ આપવાની રહેશે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કારનાર ગુજરાત પોલીસ અધિનિયમ,1951 ની કલમ -131 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.


