સમગ્ર ભારતમાં કોરોના મહામારીએ તાંડવ મચાવ્યો છે અનેક રાજયોમાં કોરોના સંક્રમણ વધતાં ઓકિસજનની માંગ દિનપ્રતિદિન વધતી જઇ રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની માત્રા ઓછી થતાં દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહયા છે ત્યારે ભારતીય રેલવે લીકવીડ મેડિકલ ઓક્સિજનના ઝડપી પરિવહન દ્વારા કોરોના મહામારીના ઉપચાર માટે ઓક્સિજન એકસપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા હાપાથી ત્રીજી ઓક્સિજન એકસપ્રેસ ટ્રેન રવાના કરવામાં આવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હાપાથી દિલ્હી કેન્ટ માટે પાંચ ઓક્સિજન ટેન્કમાં કુલ 103.64 ટન ઓક્સિજનનનો જથ્થો માલગાડી મારફત રવાના કરાયો હતો.
રાજકોટ રેલવે ડિવીઝન દ્વારા વિવિધ રાજયોમાં ઓક્સિજનની જરૂરિયાત મુજબ મેડિકલ ઓક્સિજન એકસપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી છે. જે અંતર્ગત ગત તા. 25 એપ્રિલના રોજ હાપાથી મહારાષ્ટ્રના કલંમબોલી સુધી 44 ટન ઓક્સિજન, તા. 3મે ના રોજ હાપાથી હરિયાણા ગુડગાંવ, 85.23 ટન ઓક્સિજન રવાના કર્યા બાદ આજે હાપાથી દિલ્હીથી 103.64 ટન ઓક્સિજન રવાના કરાયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા આજે સવારે પાંચ ઓક્સિજન ટેન્કની માલગાડી સવારે 4-40 વાગ્યે રવાના કરાઇ હતી. આ ટ્રેન 1230 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી પહોંચશે અને આ ઓક્સિજન ટેન્કરો દ્વારા સપ્લાય થનાર ઓક્સિજનને દિલ્હી તથા આજુબાજુના ક્ષેત્રોમાં કોવિડ કેર હોસ્પિટલના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, લીકવીડ મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રેઇલરોમાં પૂરી પાડવામાં આવી રહી છે તેમજ હાપા ગુડઝ શેડમાં વેગન પર સરળતાથી ઓક્સિજન ટેન્કરો લોડ કરવા માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.