વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.10 અને 11 મે ના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે આ દરમિયાન તેઓ જામનગરમાં રાત્રિ રોકાણ કરે તેવી સંભાવનાઓ વ્યકત કરાઇ રહી છે. જેને લઇ તંત્ર દ્વારા પણ તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી 10 થી 11 મે દરમિયાન ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં વિકાસલક્ષી કાર્યક્રમોમાં તેમની હાજરી રહેશે.
મળતી માહિતી મુજબ વડાપ્રધાનનો કાર્યક્રમ વડોદરા, ગાંધીનગર તથા સોમનાથ સહિતના વિસ્તારોમાં યોજાનાર છે, જેમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. ઉપરાંત, કેટલાક મહત્વપૂર્ણ સામાજિક અને સંસ્થાગત કાર્યક્રમોમાં પણ તેમની હાજરી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
આ પ્રવાસમાં જામનગરનો પણ સમાવેશ થવાનો છે. પ્રાથમિક માહિતી મુજબ વડાપ્રધાન 10 મેના રોજ જામનગર આવવાની શક્યતા છે, અને અહીં રાત્રિ રોકાણ પણ કરી શકે છે. જામનગર તથા આજુબાજુના વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યોને લગતા કાર્યક્રમો યોજાવાની ચર્ચા ચાલી રહી છે.
વડાપ્રધાનના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્ય તથા જિલ્લા સ્તરે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા તેમજ કાર્યક્રમોની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાનના આ પ્રવાસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


