જામનગર શહેરના સિટી અ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજાને જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. તેમની સામે ફરજ દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી, નિષ્કાળજી તથા પોલીસ સત્તાના દુરુપયોગના આક્ષેપો સામે આવ્યા છે.

સસ્પેન્શન આદેશ મુજબ અજયસિંહ જાડેજા તા. 22 જૂન 2026ના રોજ ડાયલ 112 જનરક્ષક PCR વાનના ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતા. આરોપ છે કે તેઓ ચાલુ ફરજ દરમિયાન નિયમિત પોલીસ યુનિફોર્મમાં ન હતા અને કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી કે સૂચના વગર ડાયલ 112 મોબાઇલ વાન લઈને પોતાના નિર્ધારિત પેટ્રોલિંગ રૂટની બહાર ગયા હતા. આક્ષેપ મુજબ તેઓ જામનગરના અન્ય ત્રણ વ્યક્તિઓને લઈને પંચ B પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં અકસ્માત સંબંધિત મુદ્દે બોલાચાલી દરમિયાન પોલીસ કર્મચારીએ એક પક્ષનો તરફેણી વલણ અપનાવ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
સસ્પેન્શન આદેશમાં વધુમાં જણાવાયું હોવાનું જાણવા મળે છે કે સંબંધિત વ્યક્તિ કેફી પદાર્થના પ્રભાવ હેઠળ હોવાની જાણ હોવા છતાં પોલીસ કર્મચારીએ તેની તરફેણ કરી અન્ય વ્યક્તિઓ સાથે બોલાચાલી અને ઝઘડાની પરિસ્થિતિ સર્જી હતી. સમગ્ર ઘટનાને ગંભીર શિસ્તભંગ અને ફરજ પ્રત્યેની બેદરકારી ગણાવી જિલ્લા પોલીસ વડાએ તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગ દ્વારા સમગ્ર મામલે વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.


