જામનગરમાં ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરીને કારણે સાત રસ્તા સર્કલ પાસે અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે. જેને લઇ સાત રસ્તા સર્કલ પાસે પેટ્રોલ પંપની દિવાલ પાસે આવેલ મુતરડીને તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો હતો.

જામનગરના સાત રસ્તા સર્કલમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેના પરિણામે અહીં અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેના પરિણામે શહેરીજનો ટ્રાફિકમાં ફસાઈ છે. આ અંગે મંગળવારે ટ્રાફિક પીઆઇ જામ્યુકોના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાત રસ્તા સર્કલમાં ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ સાત રસ્તા સર્કલ પાસે આવેલ પેટ્રોલ પંપની દિવાલ પાસે મુતરડી આવેલ હોય જેના પરિણામે ટ્રાફિક અવરોધાતો હોવાનું ધ્યાને આવતા વહીવટી તંત્ર અને પેટ્રોલ પંપના સંચાલકો સાથે વાતાઘાટો કરવામાં આવી હતી. જેને લઇ પેટ્રોલ પંપ સંચાલકોએ આ અંગે સહમતિ દર્શાવી પેટ્રોલ પંપની દિવાલ પાસે આવેલ મુતરડીને સ્વયંભૂ તોડી પાડવામાં આવી હતી અને દિવાલ સહિતનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ટ્રાફિક હળવો બનશે તેમ તંત્ર આશા રાખી રહ્યું છે.