જામનગર બાપાયસ પાસે લાલપુર ચોકડી નજીકથી પસાર થતા બાઈકસવારે આગળ જતા બાઈકને પાછળથી ઠોકર માર્યા બાદ બાઈકચાલક સામેથી આવતી કાર સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ગમખ્વાર અકસ્માતના વધુ એક બનાવની વિગત મુજબ, જામનગર બાયપાસ પર લાલપુર ચોકડીથી ઠેબા ચોકડી તરફ જવાના માર્ગ પર મોરકંડા ગામના પાટીયા નજીકથી દિપક કરણભાઈ વિશ્ર્વકર્મા (ઉ.વ.20) નામનો યુવક ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાના અરસમાં તેના જીજે-10-ઈડી-4741 નંબરના બાઈક પર જતો હતો તે દરમિયાન આગળ જતા જીજે-10-ડીએમ-1534 નંબરના બાઈકને દિપકે પાછળથી ઠોકર મારી હતી. જેથી અકસ્માતમાં અન્ય બાઇકના ચાલક જિતેશભાઈ અને પાછળ બેસેલા ગૌતમભાઈ રોડ પર પટકાયા હતાં. તેમજ તે સમયે પસાર થતી જીજે-10-સીએન-6371 નંબરની કાર સાથે અથડાતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ગમખ્વાર અકસ્માતમાં દિપક કરણભાઈ વિશ્ર્વકર્મા, જીતેશભાઈ કરણજારીયા અને ગૌતમભાઈ નામના ત્રણ વ્યક્તિઓને શરીરે અને માથામાં ગંભીર ઈજ પહોંચી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક દિપક કરણભાઈ વિશ્વકર્મા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવ અંગે જિતેશભાઈ પોટપભાઈ કણજારીયા દ્વારા જાણ કરાતા પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.