જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક માટે આગામી તા.26ના જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં આગામી અઢી વર્ષ માટે નવા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવશે. ભાજપા દ્વારા આ અંગે નામ જાહેર થયા બાદ ચૂંટાયેલા તમામ સભ્યોને મેઇન્ડેટ આપવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 64 પૈકી 60 બેઠકો કબ્જે કરી ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે જામનગરના પ્રથમ નાગરિક એટલે કે જામનગર મહાનગરપાલિકાના મેયર કોણ બનશે? તેને લઇ અનેક અટકળો ચાલી રહી છે. આગામી પ્રથમ અઢી વર્ષ માટે મેયરપદ મહિલા અનામત હોય ચૂંટાયેલા 30 મહિલા ઉમેદવારો પૈકી કોણ મેયર બનશે? તે આગામી તા.26ના સ્પષ્ટ થઇ જશે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આગામી તા.26 મેના બપોરે 12 વાગ્યે જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે.
આ જનરલ બોર્ડમાં આગામી અઢી વર્ષ માટે મેયર, ડે.મેયર, સ્ટે.કમિટી ચેરમેન સહિતના નવા પદાધિકારીઓની નિમણુંક થશે. ભાજપાના પ્રભારી પ્રદેશકક્ષાએથી નિમણુંક થયેલ પદાધિકારીઓના નામનું કવર જામનગર સોંપવામાં આવશે. ત્યારબાદ આ નામો જાહેર થશે.


