જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવના પાછલા ભાગમાંથી આજે સવારે ડૂબી ગયેલા બે માસુમ બાળકોના મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. બન્ને મૃતકોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું હતું. પોલીસ દ્વારા બન્ને મૃતદેહોનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતાં જેનિશ અજયભાઇ નંદા (ઉ.વ.આશરે 13) અને હર્ષિલ રાજેશભાઇ ડાંગર (ઉ.વ.આશરે 13) નામના બે માસુમ બાળકો ગઇકાલે સાંજથી ગૂમ થયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા બન્ને બાળકોની શોધખોળ માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. પરંતુ બાળકોનો પત્તો લાગ્યો ન હતો. દરમ્યાન આજે સવારે શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવના પાછલા ભાગમાં બે મૃતદેહો હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ, 108 અને પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જ્યાં ફાયરની ટીમ દ્વારા બન્ને મૃતદેહો બહાર કઢાતા આ બન્ને માસુમ બાળકોના મૃતદેહો હોવાનું જણાતા પોલીસ દ્વારા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
View this post on Instagram
દરમ્યાન બન્ને મૃતક બાળકોના પરિવારજનો સ્થળ પર દોડી આવતા બન્ને માસુમોના મૃતદેહ નજરે ચઢતાં પરિવારજનો આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા બન્ને બાળકોના મૃતદેહોનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતાં જેનિશ નંદા અને હર્ષિલ ડાંગર નામના બન્ને વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં સાથે અભ્યાસ કરતા હતા અને બન્ને મિત્રોની પરિક્ષા ગઇકાલે જ પૂર્ણ થઇ હતી. ત્યારબાદ બન્ને મિત્રો સાંજે ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા થઇ ગયા હતા અને બાદમાં આજે સવારે બન્ને મિત્રોના તળાવમાંથી મૃતદેહો મળી આવતાં પરિવારજનો હતપ્રભ બની ગયા હતા.


