જૈન સાધુ-સાધ્વીજીના ચાતુર્માસ પ્રવેશની મંગલમય શરૂઆત થઈ ચૂકી છે, જેના ભાગરૂપે જામનગરમાં ચાલુ વર્ષનો પ્રથમ ચાતુર્માસ પ્રવેશ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય મેઘદર્શનસુરીશ્વરજી મ.સા. આદિ ગુરુભગવંતોનો ચાંદીબજાર સ્થિત જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ પ્રવેશ થયો હતો.
ગત 3 જુલાઈના સવારે પંચેશ્વર ટાવર પાસે આવેલા શાલીભદ્ર એપાર્ટમેન્ટથી એક ભવ્ય સામૈયુ અને શોભાયાત્રા નીકળી હતી. જ્યાં સ્થાનિકોએ ભાવપૂર્વક પાટલાપૂજન કરી મહારાજના મંગલ આશીર્વાદ મેળવ્યા હતા. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે ઈન્દ્રપ્રસ્થ, સુપર માર્કેટ અને સજુબા સ્કૂલ થઈને ચાંદીબજાર ચોકના શેઠજી જિનાલયે પહોંચી હતી, જ્યાં ભગવાન આદેશ્વરના સમૂહ ચૈત્યવંદન બાદ આચાર્યનું પ્રેરણાદાયી પ્રવચન યોજાયું હતું.
આ શોભાયાત્રામાં મુનિ હેમન્તવિજયજી મ.સા. પ્રેરિત વિશામાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ બેન્ડ અને આદિનાથ યુવક મંડળના યુવાનોએ નિ:સ્વાર્થ અને વિનામૂલ્યે સેવા આપીને વ્યવસ્થા જાળવી હતી. સ્નાત્ર મંડળની બહેનો કુંભ-નાળિયેર સાથે જોડાતા શોભાયાત્રાની ભવ્યતા વધી હતી. ધાર્મિક મહોત્સવના અંતે અમૃતવાડીમાં નવકારશી અને સમૂહ આયંબિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના વિવિધ જૈન સંઘના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.


