Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગરકોરોના સાથે મોસમનો કહેર

કોરોના સાથે મોસમનો કહેર

હાલારમાં સીઝનનું ચોથું માવઠું : દ્વારકા અને જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન : જામજોધપુરના ગોપ વિસ્તારમાં ધોધમાર વરસ્યો : જામનગર શહેરમાં ગત રાત્રિથી છાંટા સવારે ઝરમર

- Advertisement -

એક તરફ કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે બદલાયેલા મોસમે લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. જામનગર શહેર તેમજ જિલ્લામાં આ સીઝનના ચોથા કમોસમી વરસાદે ખેડૂતોઓની મુશ્કેલી પણ વધારી છે. જીરૂ, ચણા જેવા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. તો મગફળી, કપાસ જેવા તૈયાર પાકને સલામત રીતે સાચવવાની ચુનોતી ખેડૂતો સામે આવીને ઉભી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં ગઇકાલથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ત્રણ દિવસ જામનગર સહિત રાજયમાં કમોસમી વરસાદની સંભાવનાઓ વચ્ચે ગઇકાલ સાંજથી જામનગર શહેરમાં છૂટાછવાયા છાંટાઓ શરૂ થયા હતા. તો બીજી તરફ જામજોધપુર તાલુકાના ગોપ વિસ્તારમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે માર્ગો પર પાણી વહી નિકળ્યાં હતા. માવઠાનો સિલસિલો આજે સવારે પણ ચાલુ રહ્યો હતો. વહેલી સવારથી જ શહેરમાં ઝરમર વરસાદ શરૂ જઇ જતાં માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા હતા. ટાઢા પવનને કારણે વાતાવરણ ટાઢુંબોળ થઇ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. શહેરમાં સવારે 3 મી.મી. જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો. જયારે લાલપુર અને જોડિયામાં પણ 2 મી.મી. જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળીની આવક પહેલેથી જ બંધ કરી દેવામાં આવી છે. કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદે ટેન્શનમાં વધારો કર્યો છે. વાદળછાયું વાતાવરણ રોગચાળાને ઉત્તેજન આપતું હોય તજજ્ઞો દ્વારા લોકોને સાવચેત રહેવાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular