જામનગરની ફુલ થયેલી કોવિડ હોસ્પિટલ બહાર કોરોનાના દર્દીઓને સારવાર માટે દાખલ થવાની રાહ જોઇ રહેલી એક તરૂણીને હોસ્પિટલના પ્રાંગણમાં જ અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળે છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા બે હજાર સુધી પહોંચી છે. હોસ્પિટલમાં કોઇને હવે સમાવી શકાય તેમ નથી. તેથી જિલ્લા બહારના દર્દીઓએ જામનગર ન આવવા કલેકટર રવિશંકરે અપીલ પણ કરી હતી. દરમિયાન સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, જામનગરની કોવિડ હોસ્પિટલમાં મંગળવારે કોવિડની સારવાર માટે મોટર લઇને એક પરિવાર તરૂણ વયની બીમાર પુત્રીને સારવાર મળે તેની સવારે 11 વાગ્યાથી રાહ જોતો હતો. પરંતુ લાંબા સમય સુધી સારવાર માટે દાખલ થવાનો વારો આવે તે પહેલાં તરૂણીએ તેણીની માતાના ખોળામાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. જો કે, તરૂણીના મોત બાદ આઘાતમાં રહેલો પરિવાર તંત્રને જાણ કર્યા વગર જ તેના ઘરે પરત જતો રહ્યો હતો અને આ ગંભીર પરિસ્થિતિમાં મૃતદેહને પીપીઈ કીટમાં રાખવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાનું જાણવા મળે છે.