જામનગર શહેરમાં વાલસુરામાં પુત્રને ત્યાં આવેલા વૃદ્ધને ચામડીની બિમારી હોય, દરમ્યાન ખાટલામાંથી ઉભા થવા જતાં પડી જતાં શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયું હતું.

આ બનાવની વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં વિરાટનગર વિસ્તારમાં સત્યમ્ સોસાયટીમાં રહેતાં કાનજીભાઇ રામજીભાઇ બેરડિયા (ઉ.વ.70) નામના વૃદ્ધ જામનગરમાં વાલસુરામાં ટી.કે. માર્ગ પર સરકારી ક્વાર્ટર બિલ્ડીંગ નંબર 235માં રહેતા તેના પુત્ર નરેન્દ્રભાઇના ઘરે છેલ્લા એક સપ્તાહથી રોકાવા આવ્યા હતા. નિવૃત્ત વૃદ્ધને પાંચ વર્ષથી ચામડીની બિમારી થઇ હતી. દરમ્યાન ગત્ તા. 26ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં પુત્રના ઘરે ખાટલામાંથી ઉભા થવા જતાં પડી ગયા હતા અને સૂતા હતા તે દરમ્યાન શ્વાસ લેવામાં તકલીફ થતાં વૃદ્ધને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર દ્વારા જાણ કરાતા એએસઆઇ કે. કે. માંધણ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.


