જામનગર શહેરના દિ. પ્લોટ વિસ્તારમાં રહેતા વૃઘ્ધ અંધાશ્રમ ફાટક નજીક પસાર થતી માલગાડી સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના દિ. પ્લોટ 55 વિસ્તારમાં આવેલા વિશ્રામ વાડી ચોકમાં ઝુલેલાલ ફરસાણની બાજુમાં રહેતા વિજયભાઇ માધવદાસ નાથાણી (ઉ.વ.60) નામના વૃઘ્ધ ગત્ તા. 26 એપ્રિલના રોજ બપોરના સમયે અંધાશ્રમ ફાટક નજીક રેલવે ટ્રેક પર પસાર થઇ રહેલી માલગાડી સાથે અથડાતા શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત વૃઘ્ધને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર ભાવિનભાઇ દ્વારા કરાતાં હે.કો. એન. બી. સદાદિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.