ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા હાલ વાગી રહ્યા છે, ત્યારે અગાઉ પાકિસ્તાનની નાપાક નજર હર ઘડી દ્વારકા ઉપર રહી છે. આથી દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ દ્વારકા દરિયા કિનારે ભારતીય સેનાએ મોરચો સંભાળી લીધો છે. દ્વારકાના જગત મંદિરમાં સુરક્ષા એજન્સીઓએ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દીધી છે. દ્વારકા સાથે ઓખામાં પણ આવેલી (ડીફેન્સ) સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. દાયકાઓ અગાઉ પણ પાકિસ્તાન દ્વારા દ્વારકા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેને ધ્યાને લેતા દ્વારકા પંથકમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક કરાઈ છે.
દ્વારકા જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે તથા તમામ સરકારી અધિકારીઓને સંપૂર્ણપણે સતર્ક રહે તેવું જણાવવામાં આવ્યું છે. દ્વારકાના દરિયા કિનારેથી સ્થાનિક લોકોને ઘરે જવા તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. દેશના જુદા જુદા વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા ગઈકાલે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને ગઈકાલે રાત્રે ખંભાળિયા તેમજ દ્વારકા વિસ્તારમાં બ્લેક એલર્ટ જાહેર કરી અને સ્ટ્રીટ લાઇટ તેમજ જાહેર સ્થળોએથી લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગનો ધમધમાટ હાથ ધરાયો હતો.
પાકિસ્તાન દ્વારા હુમલાની દહેશત વચ્ચે છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ની ખંભાળિયા સ્થિત સરકારી સિવિલ હોસ્પિટલમાં જરૂરી વધારાની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અહીં ડોક્ટરો તેમજ કર્મચારીઓની રજા રદ કરી, તમામ પ્રકારની દવાઓ તેમજ રક્તનો પૂરતો પુરવઠો જળવાઈ રહે તે માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા જરૂરી વ્યવસ્થા હાથ વધારવામાં આવી છે અને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે યોજાઇ ગયેલી મહત્વની બેઠક બાદ દ્વારકાના જગત મંદિરની સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર પરિસરમાં હથિયારો સાથે જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.