જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં રહેતાં વૃદ્ધા વહેલી સવારે તેના ફળિયામાં આવેલા તુલસી ક્યારામાં દીવો મૂકવા ગયા ત્યારે ઝેરી સાપ કરડી જતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં રહેતા દુધીબેન જેસાભાઇ ભારવાડિયા (ઉ.વ. 66) નામના નિવૃત્ત વૃદ્ધા રવિવારે વહેલી સવારના સમયે ઘરમાં રહેલા મંદિરમાં પૂજા આરતી કર્યા બાદ ફળિયામાં આવેલા તુલસીના કયારામાં દીવો મૂકવા ગયા હતા. તે દરમ્યાન તુલસીના કયારામાંથી ઝેરી સાપ કરડી જતાં બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર પ્રફૂલ્લભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ. આર. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


