જામનગર નજીક આવેલ મસિતિયા ગામે ધૂળેટીના પર્વ ઉપર હઝરત કમરૂદિન શાહ પીર ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. મસિતિયા ગામે છેલ્લા ઘણાં વર્ષોથી આ ઉર્ષ શરિફ નિમિતે ઘોડા-બળદ ગાડા રેસનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાના કારણે સાદગીપૂર્વક ઉર્ષ શરિફની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે અશ્ર્વદોડમાં વિવિધ ગામોમાંથી આવેલા ઘોડેસવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મસિતિયા ગામે દરવર્ષે યોજાતી અશ્ર્વદોડ મહત્વની હોય છે. મસિતિયા ગામની આ અશ્ર્વ રેસનું મહત્વ એ છે કે અહીં વિજેતાઓને કોઇ મોટી રકમનું ઇનામ નથી હોતું પરંતું જે પણ વિજેતા થાય છે તેને સાફો પહેરાવી સન્માન કરવામાં આવે છે. અહીં રેસમાં ભાગ લેવા ઘોડેસવારો આતુર હોય છે. આ રેસમાં ભાગ લેવા માટે લોકો અગાઉથી તૈયારીઓ પણ શરૂ કરી દે છે. આ ઉર્ષની ઉજવણીમાં મસિતિયા ગામના આગેવાનો, સરપંચ તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.