ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કૂરાનમાંથી 26 આયત દૂર કરવા માટેની જાહેર હિતની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ અદાલતે અરજદારને રૂા. 50000નો દંડ ફટકાર્યો છે.
સીયા વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીને મોટો ફટકો પડયો છે. તેણે સુપ્રિમકોર્ટમાં જાહેર હિતની અરજી કરી કૂરાનમાંથી 26 આયત દૂર કરવા માંગણી કરી હતી. જેનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો. રિઝવીએ પોતાની અરજીમાં એમ કહ્યું હતું કે, આ ખાસ આયતો માણસને હિંસક બનાવે છે અને આંતકવાદ શીખવે છે.
ન્યાયમૂર્તિ ફલી નરીમાન, ન્યાયમૂર્તિ બી.આર.ગવઇ અને ન્યાયમૂર્તિ ઋષિકેશ રોયની ખંડપીઠ દ્વારા આજે સોમવારે સવારે આ મામલાની સૂનાવણી કરતાં એમ પણ જણાવ્યું હતું કે, રદ થવાને પાત્ર આ અરજી હકિકતમાં ખૂબ જ તુચ્છ પ્રકારની અરજી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વસીમ રિઝવી એ આ અરજી દાખલ કર્યા પછી તેનો દેશભરમાં મુસ્લિમો દ્વારા ભારે વિરોધ થયો હતો. થોડાં દિવસ પહેલાં શિયા અને સુન્નિ મુસ્લિમો દ્વારા એક સમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં ઉલેમાઓએ ફરમાન જાહેર કર્યું હતું કે, ભારતમાં કોઇપણ કબ્રસ્તાનમાં રિઝવીને દફન થવા દેવામાં આવશે નહીં.


