જામનગર શહેરના બેડેશ્વર આઝાદ ચોક વિસ્તારમાં ઘર બહાર બેઠેલા 23 વર્ષીય યુવક સાથે કારણ વગર બોલાચાલી કરી ચાર શખ્સોએ ઝપાઝપી કર્યા બાદ ઢીકા-પાટુનો માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
જામનગર શહેરના બેડેશ્વર આઝાદ ચોક, મુંબઈવાળાના દવાખાના પાછળ રહેતા અને ટ્રકમાં કંડક્ટર તરીકે કામ કરતા હુસેનભાઈ હારૂનભાઈ છેરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તા.7 ના સાંજના આશરે પાંચેક વાગ્યે હુસેનભાઈ હાપાથી રિક્ષામાં પોતાના ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઘર બહાર એકલા બેઠા હતા ત્યારે પાડોશમાં રહેતા અકીલભાઈ હનીફભાઈ કોરેજા તેમની પાસે આવ્યા હતા અને કારણ વગર બોલાચાલી કરવા લાગ્યા હતા.
હુસેનભાઈએ બોલાચાલી કરવાની ના પાડતા અકીલભાઈ ઉગ્ર બની ગાળો આપવા લાગ્યા હતા. દરમિયાન ગુલામભાઈ આમદભાઈ કોરેજા, અસગર ઈસ્માઈલભાઈ કોરેજા અને હનીફભાઈ આમદભાઈ કોરેજા પણ ત્યાં આવી ગયા હતા અને હુસેનભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. ઝપાઝપી દરમિયાન હુસેનભાઈ નીચે પડી જતાં તેમના ડાબા કાન ઉપરના ભાગે મુંઢ ઈજા થઈ હતી.
View this post on Instagram
ત્યારબાદ ગુલામભાઈએ હુસેનભાઈને પકડી રાખ્યા હતા અને ચારેય શખ્સોએ તેમને શરીરે ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ દરમ્યાન હનીફભાઈએ હુસેનભાઈના વાળ ખેંચી માર માર્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હુસેનભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તેમના પિતા પણ સ્થળ પર આવી જતાં વધુ મારથી બચાવ્યા હતા. ત્યારબાદ ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા.
જતાં જતાં અકીલભાઈએ હુસેનભાઈને હવે પછી મારી સામે નજર કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત હુસેનભાઈને તેમના પિતા ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ બનેવી જાવેદભાઈ માણેકની મોટરસાઈકલ પર સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે ડાબા કાન ઉપરના ભાગે ઈજા થયાનું જણાવ્યું હતું.
આ બનાવ અંગે હુસેનભાઈની ફરિયાદના આધારે અકીલભાઈ હનીફભાઈ કોરેજા, ગુલામભાઈ આમદભાઈ કોરેજા, અસગર ઈસ્માઈલભાઈ કોરેજા અને હનીફભાઈ આમદભાઈ કોરેજા સામે બી.એન.એસ.ની કલમ 115(2), 352, 351(3) અને 54 મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.


