જામનગર જિલ્લામાં ખનીજની ગેરકાયદેસર ચોરી, વહન અને સંગ્રહ સામે જિલ્લા વહીવટી તંત્ર તથા ખાણ-ખનીજ વિભાગ દ્વારા સઘન અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખનીજ સંપત્તિની ચોરી અટકાવવા માટે વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ, ચકાસણી અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે, જેના પરિણામે છેલ્લા બે દિવસમાં જ ખનીજ ચોરી અને ગેરકાયદે વહન સાથે સંકળાયેલા કુલ પાંચ વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન આશરે ₹1.80 કરોડના મુદ્દામાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
વિભાગની તપાસ દરમિયાન ત્રણ વાહનોમાંથી કોઈપણ પ્રકારની રોયલ્ટી કે જરૂરી મંજૂરી વિના સિલિકા સેન્ડ ખનીજનું વહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. નિયમોનો ભંગ કરતા આ ત્રણેય વાહનોને સીઝ કરી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. બીજી તરફ, ધ્રોલના GIDC વિસ્તારમાં બે દિવસ અગાઉ ખનીજ ભરેલા બે બ્લેકટ્રક પણ ઝડપાયા હતા. તપાસમાં આ વાહનોમાં રોયલ્ટી ઉપરાંત નિયત મર્યાદા કરતાં વધુ એટલે કે ઓવરલોડ ખનીજ ભરેલું હોવાનું સામે આવતા બંને વાહનો સામે ઓનલાઇન સિઝર સહિત દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખાણ-ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આ કાર્યવાહી માત્ર દંડ વસૂલવા પૂરતી સીમિત ન રહેતા જિલ્લામાં ખનીજની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. કુદરતી ખનીજ સંપત્તિનું બિનઅધિકૃત ખનન કે ગેરકાયદેસર વહન થવાથી સરકારની આવકને નુકસાન થવાની સાથે પર્યાવરણ અને કાયદેસરની ખનીજ વ્યવસ્થાને પણ અસર થતી હોય છે. આવા સંજોગોમાં વિભાગ દ્વારા નિયમિત ચકાસણી હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા વાહનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે પ્રશંસનીય કામગીરી બની રહી છે.
View this post on Instagram
જિલ્લામાં ખનીજ બાબતે ઓગસ્ટ 2026 દરમિયાન પણ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ખનીજ સંબંધિત કુલ 31 કેસ નોંધવામાં આવ્યા હતા અને આ કેસોમાં કુલ ₹46.64 લાખની વસૂલાત કરવામાં આવી હતી. આ આંકડા દર્શાવે છે કે ખનીજની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લામાં ખનીજનું ગેરકાયદેસર ખનન, વહન અથવા સંગ્રહ કરતી કોઈપણ પ્રવૃત્તિ સામે આગામી દિવસોમાં પણ ખાણ-ખનીજ વિભાગ દ્વારા પોતાની ‘લાલ આંખ’ યથાવત રાખવામાં આવશે. જ્યાં પણ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ અંગે ફરિયાદ મળશે અથવા તપાસ દરમિયાન નિયમભંગ ધ્યાને આવશે ત્યાં સ્થળ પર ચકાસણી કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખનીજ સંપત્તિની સુરક્ષા અને સરકારના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.


