જામનગરની જી.જી. હોસ્પિટલના પેથોલોજી વિભાગના વડા અને તબીબી અધિક્ષક સામે નેશનલ મેડિકલ કમિશન સમક્ષ કરવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે સમગ્ર મામલે પેથોલોજી વિભાગના જુનિયર તબીબો એકસાથે સામે આવ્યા છે. જુનિયર તબીબોએ પત્રકારો સમક્ષ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, વિભાગ કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉક્ટરો દ્વારા આ પ્રકારની કોઈ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી નથી.
જુનિયર તબીબોએ આક્ષેપો અંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને બદનામ કરવા અથવા અંગત અદાવતના કારણે આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હોવાની શક્યતા છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો વાસ્તવિક સ્થિતિથી તદ્દન વિપરીત અને પાયાવિહોણા હોવાનું તેમણે જણાવ્યું હતું.
પેથોલોજી વિભાગના જુનિયર તબીબોના જણાવ્યા મુજબ કોલેજ અને હોસ્પિટલમાં નિયમો અનુસાર કામગીરી ચાલી રહી છે અને વિભાગમાં શિસ્તબદ્ધ તથા સમયબદ્ધ રીતે તબીબી કામગીરી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ કે જુનિયર તબીબો સાથે ભયનું વાતાવરણ, માનસિક ત્રાસ અથવા અયોગ્ય વર્તન જેવી સ્થિતિ હોવાના આક્ષેપોને પણ તેમણે નકારી કાઢ્યા હતા. કોઈ પણ વગર વગરની ફરીયાદ થી હતી જે સંસ્થાની છબી ખરડવા કરી હોવાનુ જુનિયર તબીબોએ સ્પષ્ટ કર્યુ.
View this post on Instagram
સમગ્ર મામલે કરવામાં આવેલી ફરિયાદમાં અપશબ્દો, ધાકધમકી, માનસિક ત્રાસ, સત્તાના દુરુપયોગ તેમજ ખાનગી લેબોરેટરીમાં ફરજ બજાવવા દબાણ કરાતું હોવાના આક્ષેપો સહિત વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. બાયોપ્સી અને કેન્સર સંબંધિત કામગીરીમાં પક્ષપાત તેમજ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલો સાથેના વ્યવહારની તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી હોવાના અહેવાલો છે. જોકે, આ તમામ આક્ષેપોને પેથોલોજી વિભાગના જુનિયર તબીબોએ સ્પષ્ટપણે ખોટા ગણાવીને સમગ્ર મામલે સંસ્થાની છબી ખરડાવવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું.


