મુળ કોડીનાર તાલુકાના અને ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતાં માછીમાર યુવાન અકસ્માતે દરિયામાં ખાબકતા પાણીમાં ડુબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મરીન પોલીસને જાણ કરાતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
બનાવની મળતી વિગત મુજબ, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ભાયાભાઈ રામાભાઈ વંશ (ઉ.વ. 44) નામના માછીમાર યુવાન બુધવારે ઓખાથી આશરે 21 નોટિકલ દૂર દરિયામાં ભગવત કૃપા નામની બોટમાં માછીમારી કરવા ગયા હતા. અહીં તેઓ માછીમારીની જાળ ખેંચી રહ્યા હતા તે દરમિયાન દરિયામાં એકાએક મોજુ આવતા તેઓ અચાનક બોટ પરથી દરિયામાં પડી ગયા હતા. જેના કારણે પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ઉકાભાઈ રામાભાઈ વંશએ ઓખા મરીન પોલીસને કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો.


