શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા એક ખાસ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં જામનગરની શાળા નં. 18નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પી.એસ.ઈ., એન.એમ.એમ.એસ., જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શાળા નં. 18ના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સફળતા હાસિલ કરી હતી. આ નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ બદલ શાળાને બિરૂદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

શાળાની શૈક્ષણિક સિદ્ધિઓ અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનને ધ્યાને રાખીને શાળા નં. 18ના આચાર્ય દિપક પાગડાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.સન્માન સ્વીકારતા આચાર્ય દિપક પાગડાએ જણાવ્યું હતું કે, “શાળાને મળેલું આ ગૌરવ શિક્ષકોના જ્ઞાન, કર્તવ્યનિષ્ઠા અને વિદ્યાર્થીઓની અથાગ મહેનતનું પરિણામ છે. આ સિદ્ધિ સમગ્ર શાળા પરિવારની છે.” આ પ્રસંગે શાળા પરિવારે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સતત પ્રયત્નશીલ રહેવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકનાણી, ચેરપર્સન માકડીયા મેડમ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સી.એમ. મહેતા, એલ.જી. હરિયા કોલેજના ટ્રસ્ટીઓ, બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર પ્રજ્ઞાબેન લીંબડ, વંદનાબેન જાની તેમજ શિક્ષક સંઘોના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને નાથાભાઈ કરમુર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
આ સમગ્ર સમારોહનું સંચાલન હરિદેવભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં રજૂ કરીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.


