Tuesday, August 11, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયઅદાણી સામેનો ન્યૂયોર્ક કોર્ટનો ફોજદારી કેસ કાયમી ધોરણે રદ

અદાણી સામેનો ન્યૂયોર્ક કોર્ટનો ફોજદારી કેસ કાયમી ધોરણે રદ

અમદાવાદ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત મળી છે. ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટએ અમેરિકી ન્યાય વિભાગ (DoJ)ની અરજી સ્વીકારી ગૌતમ અદાણી અને અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી સામે દાખલ કરાયેલા ફોજદારી કેસને કાયમી ધોરણે રદ કરી દીધો છે. અમેરિકી કાનૂની ભાષામાં તેને ‘વિથ પ્રેજ્યુડિસ’ મતલબ કે આ જ આરોપોના આધારે હવે ફરીથી ગુનાહિત કાર્યવાહી શરૂ કરી શકાશે નહીં. આ નિર્ણય સાથે લગભગ બે વર્ષથી ચાલતી કાનૂની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.

- Advertisement -

કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીએ તેને “સત્યની જીત” ગણાવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે જણાવ્યું કે કોર્ટના નિર્ણયનું તેઓ નમ્રતા અને ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે ઊંડા સન્માન સાથે સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે પડકારજનક સમયગાળા દરમિયાન પણ સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસન પ્રત્યે તેમનો વિશ્વાસ અડગ રહ્યો હતો. તેમણે તેમના પર, વ્યવસ્થા પર અને ભારતની ન્યાયિક ક્ષમતા પર વિશ્વાસ રાખનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

કોર્ટએ વિસ્તૃત સમીક્ષા બાદ મંજૂરી આપી

- Advertisement -

અમેરિકી ન્યાય વિભાગની અરજી સ્વીકારતા અગાઉ કોર્ટએ સમગ્ર મામલાની વિગતવાર સમીક્ષા કરી હતી. ન્યાયાધીશ નિકોલસ જી. ગરોફિસે DoJને કેસ પરત ખેંચવાના કારણો જાહેર કરવા જણાવવા સાથે જ ગૌતમ અદાણી અને સાગર અદાણી પાસેથી એફિડેવિટ દાખલ કરાવી એ સુનિશ્ચિત કર્યું હતું કે કેસ રદ કરવા બદલ કોઈ વચન, લાભ, સોદો કે ગુપ્ત સમજૂતી કરવામાં આવી નથી.
ન્યાયાધીશે નોંધ્યું હતું કે અદાણી ગ્રુપની રોકાણ પ્રતિબદ્ધતાનો DoJના નિર્ણય પર કોઈ પ્રભાવ પડ્યો હોવાનો આધાર મળ્યો નથી. અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવા મામલાઓમાં કોર્ટની ભૂમિકા મર્યાદિત હોય છે.

DoJનું મંતવ્ય: કાર્યવાહી ચાલુ રાખવી ન્યાયહિતમાં નહીં

- Advertisement -

કેસની સમીક્ષા બાદ અમેરિકી ન્યાય વિભાગે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસ આગળ વધારવો હવે ન્યાયના હિતમાં નથી. વિભાગે અધિકારક્ષેત્ર સંબંધિત પડકારો, ઉપલબ્ધ પુરાવાઓની સ્થિતિ, કથિત ઘટનાઓનો મુખ્યત્વે ભારત સાથેનો સંબંધ, ભારતીય સત્તાધીશો દ્વારા થયેલી તપાસ, રોકાણકારોને કોઈ સ્પષ્ટ નુકસાન ન થવું અને વ્યાપક જાહેર હિત જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.વિભાગે એમ પણ જણાવ્યું હતું કે નવેમ્બર 2024માં જાહેર કરાયેલા આ આરોપપત્રની ટ્રાયલ સુધી પહોંચવાની વાસ્તવિક શક્યતા ખૂબ ઓછી હતી.

ટ્રાયલ પહેલાં જ પ્રક્રિયા પૂર્ણ

આ સમગ્ર કાનૂની પ્રક્રિયા ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ પૂર્ણ થઈ ગઈ હતી. કોઈ સાક્ષીઓના નિવેદનો નોંધાયા નહીં, કોઈ પુરાવાની અદાલતમાં ચકાસણી થઈ નહીં અને મૂળ આરોપો અંગે કોઈ ન્યાયિક નિષ્કર્ષ પણ આપવામાં આવ્યો નહીં. અદાલતી દસ્તાવેજો અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન લગભગ 10 અઠવાડિયાંમાં ગૌતમ અદાણીની કાનૂની ટીમે DoJ તથા અમેરિકી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) સમક્ષ લગભગ 600 પાનાંના કાનૂની તર્ક, નિષ્ણાતોના અભિપ્રાયો અને રજૂઆતો દાખલ કરી હતી.

બચાવ પક્ષે અમેરિકી સિક્યોરિટીઝ કાયદાઓના અમેરિકાની બહાર અમલના કાનૂની આધાર પર પ્રશ્નો ઉઠાવી લાંચ સંબંધિત આરોપોને પડકાર્યા હતા અને ટ્રાયલમાં કેસ સફળ થવાની સંભાવના અત્યંત ઓછી હોવાની રજૂઆત કરી હતી. આ માટે અમેરિકા અને ભારતના અગ્રણી કાનૂની, નિયમનકારી અને ટેકનિકલ નિષ્ણાતોના અભિપ્રાયોનો પણ આધાર લેવાયો હતો.

લગભગ બે વર્ષની અનિશ્ચિતતાનો અંત

આ કેસ એવા સમયે વૈશ્વિક ચર્ચામાં રહ્યો હતો જ્યારે અદાણી ગ્રુપ પર ખાસ નજર રાખવામાં આવી રહી હતી. તે સમયગાળા દરમિયાન ગ્રુપે બજાર મૂલ્યમાં થયેલા મોટા ઘટાડામાંથી પણ નોંધપાત્ર પુનઃપ્રાપ્તિ કરી હતી.
હવે કેસ કાયમી ધોરણે રદ થઈ જતાં ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેની ફોજદારી કાર્યવાહી સંપૂર્ણપણે સમાપ્ત થઈ છે. આ જ આરોપોના આધારે હવે ફરીથી કાર્યવાહી શરૂ કરી શકાશે નહીં. આ નિર્ણય સાથે લગભગ બે વર્ષથી ચાલતી કાનૂની અનિશ્ચિતતાનો કાયમી અંત આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular