ખાણ ખનિજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના રહેણાંક મકાનેથી પીજીવીસીએલની ટીમે વીજચોરી ઝડપી લીધી હતી. આરોપીને દંડ અને વીજ મીટર ઉતારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા અવારનવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓના રહેણાંક મકાને પીજીવીસીએલ ટીમના સંકલનમાં કામ કરી ગેરકાયદેસર વીજચોરી ઝડપી લેવા સૂચના આપી હોય જામનગર (ગ્રામ્ય) નાયબ પોલીસ અધિક્ષક પીયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનિજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપી રઝાક ઉર્ફે એઝાઝ સુમાર ઝખરાના રહેણાંક મકાને જોડિયા પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમ્યાન વીજચોરી થતી હોવાનું જણાતા ધ્રોલ (રૂરલ) પીજીવીસીએલ દ્વારા આરોપીને રૂપિયા 80 હજારનો દંડ આપવાની તથા વીજ મીટર ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી રઝાક ઉર્ફે એઝાઝ સુમાર ઝખરા વિરૂદ્ધ શેઠવડાળા, જોડિયા તથા પંચકોષી ‘એ’ ડિવિઝન સહિત કુલ ચાર ગુનાઓ પણ નોંધાયેલા છે.
આ સમગ્ર કાર્યવાહી જોડિયાના પીઆઇ પી. એન. ખાચર તથા જોડિયા પોલીસ દ્વારા કરાઇ હતી.


