જામનગર-લાલપુર બાયપાસ પાસે ગત્રાત્રિના સમયે પુરપાટ આવતી સ્કોર્પિયો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજયું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર-લાલપુર બાયપાસ નજીક ગઇકાલે રાત્રિના સમયે કાળા કલરની સ્કોર્પિયો કાર અને બાઇક ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વ્યક્તિનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી ઇજાગ્રસ્તોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


