Friday, June 26, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાના યુવાનનું કતર બ્લાસ્ટ અકસ્માતમાં મોત

ખંભાળિયાના યુવાનનું કતર બ્લાસ્ટ અકસ્માતમાં મોત

આશાસ્પદ યુવાનના અપમૃત્યુથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ખંભાળિયા શહેર નજીકના હાપીવાડી વિસ્તારમાં રહેતા એક સતવારા યુવાનનું તાજેતરમાં કતર ખાતે થયેલા બ્લાસ્ટમાં કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા શહેર નજીકના હાપીવાડી વિસ્તારમાં રહેતા કિરીટભાઈ જેન્તીભાઈ કણજારીયા નામના આશરે 31 વર્ષના સતવારા યુવાન થોડા સમય પૂર્વે તેમના કામ-ધંધા અર્થે ઓમાનના કતર ખાતે ગયા હતા. અહીંના એક જાણીતા નેચરલ ગેસ કોમ્પ્લેક્ષમાં રવિવારે ગેસ પ્લાન્ટમાં એકાએક ભયંકર વિસ્ફોટ થવા પામ્યો હતો. જેના કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી.

આ દુર્ઘટનામાં સ્થાનિક તેમજ ભારતીય સહિત આશરે 70 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. તેમાં ત્રણ યુવાનો ગુજરાતના હતા. ત્યારે આ પ્રચંડ વિસ્ફોટમાં અહીંના હાપીવાડી વિસ્તારના કિરીટભાઈ કણજારીયાનું પણ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ દુર્ઘટનામાં વિસ્ફોટનો આંચકો સેંકડો કિલોમીટર દૂર સુધી અનુભવાયો હતો.

- Advertisement -

આ બનાવને અનુલક્ષીને ભારતીય દૂતાવાસ પણ કતારના અધિકારીઓ તેમજ મૃતક ભારતીય પરિવારના સંપર્કમાં રહ્યા છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક કિરીટભાઈને છ વર્ષનો એક પુત્ર તથા દોઢ વર્ષની એક પુત્રી છે અને તેઓને સોમવાર તા. 22 જૂનના રોજ ભારત પરત આવવાની ટિકિટ હતી. તે પૂર્વે રવિવાર તા. 21 જૂનના રોજ આ કરુણાંતિકા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટરી ધરાવતા કિરીટભાઈ કણજારીયાને આ પ્રકારની ખાનગી કંપનીમાં મેન્ટેનન્સની કામગીરીમાં અનુભવ સાથે સારી એવી પકડ હતી અને આ કામ માટે તેઓ મર્યાદિત સમય માટે કતાર ગયા હોવાનું પણ અંતરંગ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.

તેમના મૃતદેહને સંભવત: એક-બે દિવસમાં જ અહીં તેમના વતનમાં લાવવામાં આવનાર છે. આ કરુણ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે સમગ્ર સતવારા સમાજમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular