લાલપુરથી ભણગોર ગામ જવાના માર્ગ પર રણુજાધામ મંદિરના પાટિયા પાસે પુરપાટ બેફિકરાઇથી આવતી અર્ટીગા કારએ આગળ જતાં બાઇકને પાછળથી ઠોકર મારતાં ફંગોળાયેલા પ્રૌઢનું કારના કાચ સાથે અથડાતાં મોત નિપજયું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતાં નાથાભાઇ હાજાભાઇ સાગઠિયા (ઉ.વ.58) નામના પ્રૌઢ શનિવારે બપોરના સમયે તેના જીજે10 બીએન 6211 નંબરના બાઇક પર લાલપુરથી ભણગોર ગામ તરફ જતા હતા ત્યારે રણુજાધામ મંદિરના પાટિયા પાસે પહોંચ્યા તે સમયે પાછળથી પુરપાટ આવી રહેલી જીજે10 ટીવાય 6553 નંબરની અર્ટીગા કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા અકસ્માતમાં બાઇકચાલક ફંગોળાઇને અર્ટીગા કારના કાચ સાથે અથડાતા શરીરે તેમજ માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત નાથાભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર રાજેશ દ્વારા જાણ કરાતા પીઆઇ એ. એલ. ગળચર તથા સ્ટાફએ અસ્લમભાઇ અમીરઅલી આડતિયા નામના કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


