જામનગરમાં વર્ષ 2012માં લાલવાડી વિસ્તારમાં થયેલા ગેંગરેપ અને લૂંટના ગંભીર ગુનામાં આજીવન કારાવાસની સજા પામેલા અને વચગાળાના જામીન પર છૂટયા બાદ 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડએ સાબરમતિ રેલવે સ્ટેશન પરથી દબોચી લઇ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં વર્ષ 2012માં થયેલા ગેંગરેપ અને લૂંટના બનાવે હાલારમાં ફફડાટ ફેલાવી દીધો હતો. આ ગેંગરેપ અને લૂંટના બનાવમાં પોલીસે ગંભીરતાને ધ્યાનમાં લઇ ગણતરીના સમયમાં જ પારસ ઉર્ફે ધોરિયો મોહન ઉર્ફે રામરોટી અને દીપક ઉર્ફે કાળો ઘનશ્યામ તથા રામચરણ ઉર્ફે મંગલરામ નામના ત્રણ નરાધમોની ધરપકડ કરી હતી. આ ગંભીર બનાવમાં અદાલતે 2014માં આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ત્યારબાદ પારસ ઉર્ફે ધોરિયો મોહન ઉર્ફે રામરોટી નામના આરોપી વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો. ત્યારબાદથી નાસતો ફરતો હતો. ગંભીર ગુનામાં આજીવન કારાવાસની સજા પામેલા નાસતા ફરતા આરોપીને દબોચી લેવા માટે એસપી ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. બી. ચૌધરી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફએ ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત નાસતા ફરતા આરોપીને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરમ્યાન પારસ ઉર્ફે ધોરિયો મોહન ઉર્ફે રામરોટી નામનો શખ્સ જુદા જુદા રેલવે સ્ટેશનોએ રહેતો હોવાની ટેવના કારણે પોલીસે જુદી જુદી ટીમો બનાવી 100 થી વધુ રેલવે સ્ટેશનોએ તપાસ અને મળેલી બાતમીના આધારે અમદાવાદના સાબરમતિ રેલવે સ્ટેશનેથી પારસ ઉર્ફે ધોરિયો નામના નરાધમને દબોચી લઇ જામનગર લઇ આવ્યા હતા અને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


