જામનગરના સામાજીક કાર્યકર દ્વારા રાજ્યના ફાયર પ્રિવેન્સન સર્વીસના ડાયરેકટર પાસે રાજ્યભરના ફાયર સેફટી ઓફીસરોને લગતી વિગતો તેમજ એનઓસીની નિયત કરેલ ફીની વિગતો સહિતની બાબતો અંગે આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી છે.
તક્ષશીલા, ટીઆરપી ગેમઝોન સહિતના અગ્નિકાંડો તેમજ તાજેતરમાં જામનગરના કચરાના ડમ્પીંગમાં લાગેલી આગ માંડ પાંચ દિવસે કાબુમાં આવી હતી. ત્યારે જામનગરના સામાજીક કાર્યકર નિતીનભાઇ માડમ દ્વારા આરટીઆઇ અંતર્ગત રાજ્યના ફાયર પ્રિર્વેન્સન વિભાગના ડાયરેકટર પાસે ફાયર સેફટી બાબતે માહિતી માંગવામાં આવી છે. જેમાં ફાયર સેફટી ઓફીસરની નિમણુંક માટે બહાર પાડવામાં આવેલ પરીપત્રની નકલ, પરીપત્રની અમલવારી કઇ તારીખથી કરવામાં આવી તેની નકલ, ફાયર સેફટી ઓફીસરની ભરતી માટેના નિયમો, ભરતીની જાહેરાત કયાં માઘ્યમથી કરવામાં આવી તેની નકલો તથા જાહેરાતના ખર્ચની વિગતો, તા.1/6/2026 સુધીમાં કેટલા ફાયર સેફટી ઓફીસરની નિમણુંક કરવામાં આવી, કેટલા સમય માટે તે તમામની વિગતો, ફાયર સેફટી ઓફીસર દ્વારા આપવામાં આવતી એનઓસીની ફી વસુલવા માટે નિયમો, શરતો, આપવામાં આવેલ એનઓસીની નકલો, એનઓસી બાદ કોઇ જગ્યાએ આગના બનાવો બન્યા હોય તો તેની વિગતો, અત્યાર સુધી નિમણુંક પામેલ ફાયર સેફટી ઓફીસરની નિમણુંક બાદ તેમની સામે કોઇ ફરિયાદ આવેલ હોય તો તે ફરિયાદની નકલ તથા કરવામાં આવેલ કાર્યવાહીની નકલ માંગવામાં આવેલ છે.
આ ઉપરાંત તક્ષશીલા, ટીઆરપી ગેમઝોન તથા રાજ્યમાં અનેક શહેરોમાં કચરાના ડમ્પીંગ સ્થળે આગના બનાવ બન્યા હતાં તે બાબતે ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા કોઇ કાર્યવાહી કરી સુચના આપી હોય તો તેની વિગતો પણ માંગવામાં આવી છે.


