સંવેદનશીલ ગણાતા હાલારના દરિયાકિનારેથી નશીલા પદાર્થોની હેરાફેરી થઇ રહી હોવાનું પોલીસ દફતરે નોંધાયેલું છે અને હાલારમાંથી સમયાંતરે નશીલા પદાર્થોનું બેરોકટોક વેચાણ થતાં સ્થળે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં નશીલા પદાર્થોનું વેચાણ બંધ થતું નથી. સંવેદનશીલ ગણાતા હાલારના દરિયાકિનારાનો ઉપયોગ નશીલા પદાર્થોના હેરાફેરી માટે થતો રહે છે. દરમિયાન મેઘપર પોલીસની ટીમે મોટી ખાવડી ગામમાં અનાજ-કરિયાણાની દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.
દરોડાની વધુ વિગત મુજબ એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, હે.કો. અખ્તરભાઇ નોઇડા, લાખનસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલી સંયુક્ત બાતમીના આધારે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની અને એએસપી પ્રતિમાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. ટી. જયસ્વાલ, એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, હે.કો. લાખનસિંહ જાડેજા, અખ્તરભાઇ નોઇડા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો.કો. સલીમભાઇ મલેક, મહેશભાઇ જોગલ, કિરણભાઇ આયડી, કરણાભાઇ વસરા, ઈન્દ્રજિતસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા દ્વારા રેઇડ દરમ્યાન મોટી ખાવડી ગામમાં સમાજ વાડી તરફ જવાના રસ્તે આવેલા અમરેશ કિરાણા સ્ટોર્સ નામની દુકાનમાંથી રેઇડ દરમ્યાન અમરેશકુમાર શ્રીરામદાર ઉર્ફે ભગવાનદાસ બનિયા (ઉ.વ. 22) (રહે. મૂળ બિહાર તથા હાલ જામનગરના મોટી ખાવડી) તથા સુમિતકુમાર ભૂપેન્દ્રસિંગ રાજપૂત (ઉ.વ. 21) (રહે. મૂળ બિહાર તથા હાલ જામનગરના મોટી ખાવડી) નામના બે શખ્સોને રૂા. 33,300ની કિંમતનો ગાંજાનો 666 ગ્રામ જથ્થો અને રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા. 2100ની રોકડ રકમ મળી કુલ રૂા. 45,400ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની પૂછપરછ હાથ ધરતાં આ ગાંજાનો જથ્થો જામનગરના હરપાલસિંહ ચાવડા દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.
View this post on Instagram


